હોમ

ગુરુવાર, 22 નવેમ્બર, 2012

Perception - કોઈ પણ બાબત અંદર ઉતરીને જોઈએ તો અલગ વર્ઝન મળી શકે.


Perception Boss... Perception... Please read till end. 

રંભા અને મંછા વાત કરતી બેઠી હતી. મંછા કહે કેવો રહ્યો તારો વીક-એન્ડ?

રંભા - અરે પૂછ માં. એકદમ રોમાન્ટીક. અમે તો બહાર જમવા ગયા. અને સાંજે ઠંડો પવનમાં એક મસ્ત રોમેન્ટીક વોક અને પછી કેન્ડલ લાઈટમાં બેસી અને બહારથી મંગાવી કોફી પીધી. બસ ખૂબ વાતો કરી. અને તારે?

મંછા - મારે તો ભુરો આવ્યો, જમ્યો અને પડખું ફેરવીને ઊંઘી ગયો. એકદમ અન-રોમેન્ટીક.

મંછા અને રંભા - હમ્મ્મ્મ્મ.. (નીસાસો:)
:
:
:
:
:
:
વર્ઝન - ૨

ભુરો - કરશન કેવો રહ્યો વીક-એન્ડ?

કરશન: અરે પૂછ માં. કાલે ઘેરે ગેસ ખલાસ અને લાઈટ પણ નહી. અને ફરજિયાત બહાર જમવા જવું પડ્યું, અને વિના કારણે ૧૫૦૦નો ધુમાડો, પાછાં ફરતાં રિક્ષા મળી નહી અને બે કિલોમીટર ટાંટિયા ઠોકતાં ઘેરે આવવું પડ્યું. પાછી ઘેરે લાઈટ નહી અને આખા ઘરમાં મીણબત્તી કરીને બહારથી મંગાવી કોફી પીધી. ફીણ નીકળી ગ્યા અને માંડ ઊંઘ આવી. અને ભુરા તારે?

ભુરો - અરે મારે તો જલસો પડી ગ્યો. ગરમા ગરમ જમ્યો અને મસ્ત ઊંઘી ગયો. સીધી પડે સવાર.

- કયારેય નિર્ણય ઉપર આવતાં ઉતાવળ ન કરવી. બન્ને વર્ઝન ચેક કરીને નિર્ણય લેવો. :D

Perception Boss Perception - A real life Experience

એક કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય. અને એનો પ્રત્યક્ષ અનુભવ પણ થયો જ્યારે હું ૧૯૯૧માં મુંબઈથી રાજકોટ સ્થાયી થવા માટે આવ્યો.

રાજકોટમાં રૈયા રોડ પર આવેલ એક સહકારી બેંક માં ખાતું ખોલાવવા ગયો. ફોર્મની વિધિ પુરી કરી. એક મેડમ બેઠા હતા. એમનો લહેકો અને બોલી બન્ને શુધ્ધ કાઠીયાવાડી હતી. અને મારી.... એકદમ વલહાડી..

ફોર્મ ચેક કરતા એમણે એક સવાલ કર્યો. કારણ મારૂં કાયમી સરનામું વલસાડનું હતું.

મને કહે કે મારા બેન વલસાડ રહે છે? 

મેં કહ્યું કે બૌ સરસ તમારા બેન વલસાડમાં કાં રેય તે કેવ ની.

તો પાછા સહેજ મોટા અવાજે - ના એમ નહી, મારા બેન વલસાડ રહે છે?

મેં પુછ્યું કે વલસાડમાં કાં રેય તે કહોની, સાવ નાલ્લું જ ગામ છે. હોધી કાઢા. અને તમે કેવ તો મલી બી આવું તેમાં હું. 

પાછળ બેઠેલા મેનેજર કહે તમે સમજતા નથી. એ બહેન શું કહેવા માંગે છે. એ તમારા ઘરવાળાનું પુછી રહ્યા છે. 

મેં કહ્યું, સાહેબ તમે નથી હમય્જા. એ હું પુછે છે તે. પન એ મુને એડ્રેસ આપે એટલે જૈ આવું કે ની?

પછી ખુલાસો થયો કે સૌરાષ્ટ્રમાં સામે વાળાના પત્નીને મારા બેન કહીને બોલાવાય. બેંકમાં ખાસ્સી રમુજ ફેલાયેલ.

પછી મેં જવાબ આયપો કે મેં તો હજી કુંવારો છે. તમારા બેન કાં છે તે મને જ ની ખબરને. 

એ પછી એ બહેન જ્યારે બેંકમાં જાંઉ ત્યારે નજર ચુકાવી દેતા.

:D :)

શુક્રવાર, 16 નવેમ્બર, 2012

હોંઉ તો હોંઉ પણ ખરો.... If I were the God, this may be true.


હોંઉ તો હોંઉ પણ ખરો ::


આઝાદીના વરસો પહેલાંની વાત છે. જ્યારે સૌરાષ્ટ્ર અનેક નાના રજવાડામાં વહેંચાયેલ હતું અને ચંદ્રવંશી, સુર્યવંશી રાજપૂતો અને નવાબી શાસન હતું. આવા જ એક રાજ્યની વાત છે. ત્યાં રાજા તો પરોપકારી હતો અને નિજાનંદમાં મસ્ત અને વ્યસ્ત રહેતો. પણ રોજ-બરોજનું કાર્ય એનો કારભારી સંભાળતો. કારભારી એટલે બધી વાતને પુરો. રાજાના નામને વટાવીને લોકો પર ભારે હાથે રાજ કરતો અને ખૂબ મજા લેતો. લોકો એને જાહેરમાં તો રાજાની બીક કે ભયના કારણે કંઇજ કહી ન શકતા પણ પાછળ ખૂબ જ ગાળો આપતા અને પ્રયત્ન કરતા કે કેમ કરીને પણ રાજાને તો જણાવવું જ.

પણ કારભારી એનું નામ. મોકો આપે જ નહી. લોકો ત્રાહીમામ પોકારી ઊઠેલા. કોઇએ એક વખત હિંમત કરીને રાજાને ફરિયાદ કરી. રાજા ત્યારે રાજાપાઠમાં ન હતા અને શાંતિથી સાંભળીને એકદમ ઉક્ળી ઊઠ્યા. શું વાત છે, મારો કારભારી મારા નામ ઉપર આવો જુલમ? ન ચાલે. અન્ય લોકોને પણ સાંભળ્યા. સુર એ જ હતો. રાજા એ અતિશય ગુસ્સે થઈને કારભારીને બોલાવી અંતિમ સજા જાહેર કરી જ દીધી. ૨૪ કલાકમાં દેશ-નિકાલ. અને જો ૨૪ કલાક પછી મોઢું દેખાડ્યું તો માથું ધડ પર નહી રહે. 

લોકો છાને ખૂણે ખૂબ ખુશ થયા. પણ ખુશી કોઇએ જાહેર કરી નહી. કારણ કે લોકો એ સજાનો અમલ જોવા માંગતા હતા.

બીજા દિવસે ઢળતી બપોર હતી, બજાર જ્યારે લોકોથી છલકાતું હતું તે વખતે એ કારભારી બળદ ગાડામાં પરીવાર અને થોડી ઘણી ઘરવખરી લઈને નીકળ્યો. બધાને છેલ્લા રામ-રામ કરતો જાય અને કહેતો જાય કે જેવા નસીબ. હવે તો અંજળ-પાણી ખૂટ્યા. બસ નસીબ લઈ જાય ત્યાં જવાનું. બોલ્યું ચાલ્યું માફ કરજો અને કોઈને પણ દુ:ખ થયું હોય તો પણ માફ કરજો. 
લોકોએ હાશકારો અનુભવ્યો. કે ચાલો પીડા ગઈ.

ત્રીજા દિવસને વહેલી સવારે સૂર્યોદય સમયે અચાનક કારભારી હાથમાં પૂજાની થાળી, નાળિયેર, હાર-તોરણ લઈ રાજાના મહેલની બહાર ઊભો હતો અને દ્વારપાળને કહે જલદી મહારાજાને બોલાવો. હમણાંને હમણાં.

દ્વારપાળ કહે કે હે ભાઇ, શું કામ મને બ્રહ્મ હત્યાનું પાપ આપે છે? મહારાજા તમને જોતાં વેંત મારી નાખશે. સજા તો ખબર જ છે ને?

કારભારી કહે કે મારે એ જ જોઇએ છે. જલદીથી મહારાજાને બોલાવો.
હિંમત કરીને મહારાજાને ઉઠાડ્યા. અને ખબર પડી તો એ તો તલવાર મ્યાનમાંથી કાઢી, લાલ આંખ અને મોઢા પર ગુસ્સો લઈ, પગ પછાડતા દરવાજા પાસે આવી ગયા. અને કહ્યું કે તારું મોત તને અહીં લઈ આવ્યું છે. તું તો મરવાનો થયો છે.

કારભારીએ તો ત્યાં મહારાજાના પગ પાસે નાળિયેર ફોડ્યું, હાર-તોરણ કર્યા, અને માથું ઝુકાવી કહે કે હે મહારાજ હવે બસ આપની તલવાર અને મારુ માથું. બસ ચલાવો તલવાર.

હવે મહારાજ મુંઝાઇ ગયા. કે આ બધું શું છે? કારભારી કહે બસ મહારાજ તલવાર ચલાવો. મહારાજ કહે વાત તો કર આ બધું શું છે એ તો કહે.

કારભારી કહે, મહારાજ આપે દેશનિકાલ કર્યા પછી અમે કચ્છના રણમાં ઊતરી ગયા. અમારી પાસે ખાવા-પીવાનું કાંઈ જ નહી. બાળકો તરસે ટળવળે અને મારી ઘરવાળી પણ રડે. મારાથી બોલાઈ ગયું કે હે દ્વારકાધીશ, પાપ મેં કર્યા છે અને સજા મારા પત્ની-બાળકોને શું કામ? મારી આંખમાં પણ આંસુ આવી ગયા.

ત્યાં તો આકાશમાંથી તેજ પુંજ જમીન પર આવ્યું. અને ચારભુજા વાળા દ્વારકાધીશ સદેહે હાજર. મારા પત્ની-બાળકોએ પાણી પીધું, અન્ન લીધું. પણ મેં કાંઇજ ન લીધું. 

મહારાજ કહે કેમ?

કારભારી કહે, મારું ધ્યાન તો ફક્ત દ્વારકાધીશના ચહેરા પર હતું. એ મનોહારી ચહેરો. એ જ શાંતિ, એ જ તેજ એજ આભા. મહારાજ આપ જ હતા.
પછી વિચાર આવ્યો કે દ્વારકાધીશનો અવતાર તો આપણા ગામમાં બેઠો છે અને તું રણમાં રઝળીને મરીશ? બસ મહારાજ આપના હાથેથી મરીશતો મોક્ષ થશે. બસ ચલાવો તલવાર.

મહારાજ કહે.. બસ. આ અવતાર વાળી વાત મુક અને કામે ચડી જા. 
પણ કોઇને કહેતો નહી, આ અવતાર વાળી વાત.

વધુ લોકોને કહેવામાં માલ નહી, શું સમજ્યો. 

અને હા... આ અવતાર.....
હોઉં તો હોઉં પણ ખરો.





-આ વાર્તા મેં બહુ વરસો પહેલાં વાંચેલી હતી અને મને આજે મૂળ લેખકનું નામ યાદ નથી આવતું. પણ યાદગાર છે. અને જ્યારે યાદ કરૂં છું ત્યારે બસ આનંદ આવે છે. આ તેનો સારાંશ છે.